Sunday, February 15, 2009

વેલેન્ટાઇન દિવસ, લાલુપ્રસાદ યાદવ અને ભગવા ગુંડારાજ

રામે સીતાને બાગમાં જોયાં. એ પહેલી નજરનો પ્રેમ હતો. રુક્મિણીએ શ્રીકૃષ્ણને પોતાને પરણીને લઈ જવા પત્ર લખ્યો એ કદાચ પહેલો પ્રેમપત્ર હતો. દુષ્યંતે શકુંતલા સાથે લગ્ન કર્યાં તે કદાચ પહેલા પ્રેમલગ્ન હતાં! પાર્વતીજીએ શંકરને પામવા આકરી તપશ્ચર્યા કરી હતી અને એ પાર્વતીજીનાં માબાપે ગોઠવેલાં લગ્ન (ઍરેન્જ્ડ મેરેજ) નહોતાં.

ઘણા લેખકો સંસ્કૃતમાં રચાયેલાં પુરાણા ગ્રંથોને ટાંકીને યુવાનોને ગમે તેવું ‘લોકભોગ્ય’ લખાણ લખીને રૂઢિચુસ્ત સંગઠનોને ભાંડતા રહેવાની પ્રવૃત્તિ કરતા રહે છે. ચૅનલો પણ યુવાનોમાં પોતાની પેઠ પેસાડવા અને રાખવા માટે યુવાનોને ગમે તેવું પીરસ્યા રાખે છે. (અલબત્ત, એ યુવાનોને ગમતું જ હોય છે તે માની લેવામાં આવ્યું હોય છે.) મહેશ ભટ્ટો જેવા નિર્દેશકો અને નિર્માતાઓ તેમજ ઘણાં મેગેઝિનો, અખબારો અને ચૅનલોના તંત્રીઓ, પત્રકારો વગેરે પણ કામક્રીડાંનાં દ્રશ્યો, તસવીરો તથા કામક્રીડાને લગતા સમાચારો લોકોને ગમતા જ હોય છે તેવું માની લઈને પોતાની ફિલ્મોમેગેઝિનો, અખબારો અને ચૅનલોમાં આવું બધું ચલાવ્યા કરે છે. જ્યારે ચર્ચા નીકળે ત્યારે પોતાનો ફિલ્મોવાળા એમ કહીને કરે કે એમટીવીમાં આવું બધું આવે છે અને એ ડ્રોઈંગરૂમમાં બેસીને જોવાય છે જ ને? એમટીવીવાળા એમ કહે કે ઇન્ટરનેટ પર કેટલી પોર્નોગ્રાફી જોવાય છે? પરંતુ આમ બીજાના ગુનાનો સંદર્ભ ટાંકીને પોતે ગુનો કરે છે તે યોગ્ય છે? પુરાણોમાં પ્રેમનો મહિમા છે જ, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેને પ્રેમનું નામ આપી શકાય ખરું?

એનડીટીવી ઇન્ડિયા ચૅનલે ૧૪ ફેબ્રુઆરીએ બતાવેલા રિપોર્ટમાં ‘ભગવા ગુંડારાજ’ ટાઇટલ હતું અને ભગવો પટ્ટો ધારણ કરીને નીકળી પડેલા ગુંડાઓ વેલેન્ટાઇન્સ ડેના દિવસે કહેવાતા ‘પ્રેમીઓ અને પ્રેમિકાઓ’ને પીટી રહ્યા હતા તે વારંવાર બતાવ્યું. તે પછી લાલુપ્રસાદ યાદવ વેલેન્ટાઇન બાબા બનીને રાબડી દેવી આગળ જાય છે તે કાર્ટૂન ચિત્ર બતાવ્યું. તે પછી લાલુના સમાચાર બતાવ્યા. તેમાં લાલુને આ અંગે પૂછાયું તો લાલુએ ઠંડકથી કહી દીધું ઃ હું વેલેન્ટાઇનની ઉજવણીની તરફેણમાં નથી!

અહીં બે મુદ્દા વિશે કહેવું છે. રામ સેનાનો બચાવ કરવાનો હેતુ નથી, પરંતુ પબમાં યુવતીઓ જ નહીં, યુવાનો પણ જાય તે આ દેશના હિતમાં છે? માનો કે કોઈ બાપ તેનો દીકરો પબમાં ગયો હોય અને ત્યાં જઈને બે લાફા મારી દે તો?

કોઈ વિદ્યાર્થી બરાબર ન ભણતો હોય તો તેના હિતમાં શિક્ષક ખીજાય અને જરૂર પડે એક લાફો પણ મારી દે. પરંતુ આજે શિક્ષક લાફો મારે તો પણ અખબારો અને ન્યૂઝ ચૅનલોનો મુદ્દો બની જાય છે.

સ્ત્રીઓને બધી સ્વતંત્રતા જોઈએ છે અને ઘણી બધી મળી પણ રહે છે, પરંતુ તે કોઈ ગુનો કરે ત્યારે ‘અબળા’ બની જવું છે. કોઈ સ્ત્રી સ્વચ્છંદી બનીને અસભ્ય વર્તન કરે ત્યારે?

અમદાવાદ સહિત દેશનાં ઘણા શહેરોમાં સ્ત્રીઓ બેફામ ડ્રાઇવિંગ કરીને નાસી જાય છે. પુરુષે જો અકસ્માત કર્યો હોય તો ત્યાં સ્થળ પર તેની ધોલાઈ થઈ જાય, પરંતુ સ્ત્રીએ કર્યો હોય તો તેની ધોલાઈ થાય ખરી? ઉલટું, કદાચ તેના ‘ભાઈઓ’ આવીને સામે વાળા નિર્દોષને મારવા લાગે તેવું બને. એટલે પબમાં રામ સેનાએ સ્ત્રીઓની ધોલાઈ કરી તે જેટલું ખોટું હતું તેટલું જ ખોટું યુવાન કે યુવતીઓનું પબમાં જવું છે.

પબ કલ્ચરના મુદ્દે પક્ષાંતર ભૂલી જઈને કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરીપ્પા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બધાએ પબ કલ્ચરને દૂષણ ગણાવ્યું. એ જ રીતે વેલેન્ટાઇન દિવસનો વિરોધ માત્ર શિવસેના, ભાજપ કે વિહિપ બજરંગ દળવાળા જ કરે છે તેવું નથી. ઉપર કહ્યું તેમ લાલુ પણ તેની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું ઃ આ ભારતીય સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ તો શરમ અને લજ્જાની છે.

કાઁગ્રેસ જેને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે એ રાહુલ ગાંધીએ પણ પોતે વેલેન્ટાઇન દિવસની ઉજવણીની તરફેણમાં ન હોવાનું કહ્યું.

પરંતુ અખબારો અને ન્યૂઝ ચૅનલોને વેલેન્ટાઇન દિવસ અને એવા દિવસો કે મુદ્દામાં બજાર દેખાય છે. ગ્રીટિંગ કાડ્ર્સથી લઈને ગિફ્ટ આર્ટિકલનું પણ મોટું બજાર છે. કપલરૂમથી લઈને હોટલના રૂમોમાં પણ ૧૪મી ફેબ્રુઆરીએ ભીડ જોવા મળે છે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરે બાળ દિને જોવા મળે છે.

અખબારો અને ન્યૂઝ ચૅનલોના કર્તાહર્તાઓએ વેલેન્ટાઇન ડેના સમર્થનકારોએ પોતાની જાતને આ પૂછવું જોઈએ. વેલેન્ટાઇન ડેના દિવસે જે થાય છે તે માત્ર પ્રેમ જ હોય છે કે પછી હવસ? સ્વતંત્રતા સારી છે પરંતુ જ્યારે તેમાં સ્વચ્છંદતા આવવા લાગે ત્યારે? રામ સેનાની વિરુદ્ધમાં બોલતી આ ચૅનલો કે અખબારો ત્યારે કેમ ચૂપ થઈ જાય છે જ્યારે મુંબઈમાં એક મુસ્લિમ યુવતીની પીઠ પર ટેટૂમાં ધાર્મિક લખાણના કારણે તે યુવતીને રૂઢિચુસ્તો માર મારે છે? ત્યારે કેમ ‘હરા ગુંડારાજ’ કે ‘તાલિબાની કહર’ જેવું શીર્ષક આપીને ચર્ચાઓ અને સમાચારો નથી અપાતા?

No comments:

Post a Comment